અમદાવાદઃ ગુજરાતમાં ભોળા દર્દીઓને ભોળવીને ચીરી સરકારી તીજોરી ખાલી કરનાર ખ્યાતિના ડોક્ટરો પૈકી 39 ટકા ભાગીદાર ડો. સંજય પટોળિયા પોલીસ સકંજામાં આવી ગયો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ડો. સંજય પટોળિયાના 10 દિવસના રિમાન્ડની માંગણી સાથે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે.
ખ્યાતિ હોસ્પિટલમાં રેલવે અને ઓએનજીસીના કર્મચારીઓના પણ ઓપરેશન થયા
આ દુર્ઘટનામાં 2 દર્દીનાં મોત, કડીના 19 દર્દી લાવ્યા, 7 ઉપર સર્જરી. ખોટા બ્લોકેજના કાગળિયા બનાવ્યા. PMJAYમાં 70 ટકાથી વધુ બ્લોકેજ હોય તો જ લાભ મળે. આરોપીનો રોલ તપાસવાનો છે. 39 ટકા શેર હોવાથી નાણાકીય બાબતોની પૂછપરછ કરવાની. ચાર ડિરેક્ટરમાંથી આ એક જ ડોક્ટર, જે મેડિકલનું જ્ઞાન ધરાવે છે, જેથી સાથે રાખી પૂછપરછની જરૂર. ઝીણવટપૂર્વક તપાસની જરૂર. રેલવે અને ONGCના કર્મચારીઓનાં પણ ખ્યાતિમાં ઓપરેશન થયાં, તેની તપાસ જરૂરી.
PMJAY યોજનાની ટીમ પણ શંકાના દાયરામાં
ખ્યાતિ હોસ્પિટલે PMJAY યોજના હેઠળ 15 કરોડ રૂપિયા મેળવ્યા છે, જેથી PMJAYની તપાસ કરતાં સામે આવ્યું છે કે PMJAY યોજનામાં 10 જેટલા ડોક્ટરની ટીમ બેસે છે, જેમાંથી એક ડોક્ટરના કોમ્પ્યુટર પર દિવસની 100 ફાઈલ ક્લિયર કરવાની હોય છે. એક ફાઈલ ક્લિયર કરવા માટે વધુમાં વધુ પાંચ મિનિટનો જ સમય આપવામાં આવે છે. આ પાંચ મિનિટ દરમિયાન જે પણ સર્જરી હોય એનો રિપોર્ટ યોગ્ય રીતે તપાસવાનો હોય છે. પાંચ મિનિટ દરમિયાન જ ડોક્ટર દ્વારા ફાઇલને એપ્રૂવલ કે રિજેક્ટ ફરજિયાત આપવાનું હોય છે. પાંચ મિનિટ સુધીમાં ડોક્ટર એપ્રૂવલ ના આપે તો ફાઇલ ઓટોમેટિક રિજેક્ટ થઈ જાય છે.
કયા ડોક્ટરે ખ્યાતિ હોસ્પિટલની ફાઇલને એપ્રૂવલ આપ્યું એ દિશામાં તપાસ
પાંચ મિનિટના સમયગાળા દરમિયાન કામ કરતા સમયે કોઈ ડોક્ટર ખ્યાતિ હોસ્પિટલ સાથે જોડાયેલો હોય છે કે કેમ એ બાબતે તપાસ કરવામાં આવી રહી છે, કારણ કે કોઈપણ ડોક્ટરની આ કાંડમાં સંડોવણી હોય તો ડોક્ટરે કઈ રીતે કામ કર્યું હોય અને હોસ્પિટલને કઈ રીતે મદદ કરતો હોય એ બાબતની તપાસ ચાલી રહી છે. કયા કયા ડોક્ટરે ખ્યાતિ હોસ્પિટલની ફાઇલને એપ્રૂવલ આપ્યું હતું એ તપાસ ચાલી રહી છે.
PMJAYથી કુલ 16.64 કરોડની રકમ ખાઈ ગયા
આરોપીએ પહેલા એક નાની કંપની ખોલી અને પછી એનું નામ બદલાવી બેરિયાટ્રિક્સ હોસ્પિટલ ખોલી. બાદમાં એમાં જૂના ભાગીદારોને છૂટા કરી નવા સહ આરોપી ડાયરેક્ટર જોડી ખ્યાતિ હોસ્પિટલ ખોલી. 31 માર્ચ, 2022થી 11 નવેમ્બર, 2024 સુધી PMJAY યોજના, જેમાં મફત સારવાર અપાય. એનો લાભ લઈ જરૂર ના હોય તેનાં ઓપરેશન કરી નાખ્યાં. કુલ 16.64 કરોડની રકમ PMJAYથી મેળવાઈ છે. ખોટા કાગળિયા બનાવ્યા કે દર્દીને બ્લોકેજ ઓછું હોય તોપણ એને વધારે બતાવી, સર્જરી કરી PMJAYનો લાભ લીધો. ખોટા કાગળિયામાં પ્રશાંત વાઝીરાણીની સહી છે અને આ સંજય પણ સામેલ છે. વર્તમાન આરોપી ખ્યાતિમાં 39 ટકા ભાગ ધરાવે છે.