સાબરકાંઠા જિલ્લામાં આજે બુધવારે સવારે ગમખ્વાર અકસ્માત થયો હતો. હિંમતનગર નજીક હાઈવે ઉપર ખાનગી બસે ઈકો કારને અડફેટે લેતા કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં છ લોકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત થયા હતા. જ્યારે અન્ય લોકો ઘાયલ થયા હતા.
મળતી માહિતી પ્રમાણે સાબરકાંઠા જિલ્લામાં આજે બુધવારે વહેલી સવારે શામળાજીથી અમદાવાદ તરફ જતાં નેશનલહાઈવ ઉપર હિંમતનગર નજીક જસવંતગઢ પાટિયા પાસે એક પુરપાટ ઝડપે ફૂલ સ્પીડમાં આવતી ખાનગી બસે ઈકો કારને ભયંકર ટક્કર મારી હતી.
ઘટનાના પગલે કારના ભુક્કા બોલાયા હતા અને કારમાં સવાર 6 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. અન્ય ઘાયલ લોકોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
મળતી માહિતી પ્રમાણે હાઈવે પર વાહનોની અવરજવર વચ્ચે બનેલી આ ઘટનાને પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને સ્થાનિક લોકો મદદે દોડી આવ્યા હતા.પોલીસને જાણ થતાં જ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવીને આગળની કામગીરી હાથધરી હતી.
કારમાં ફસાયેલા મૃતદેહોને બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. હાલ પોલીસે મૃતકોના પોસ્ટમોર્ટમની તજવીજ હાથ ધરી છે અને અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.