ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજય નોંધાવ્યો છે. ગુજરાતમાં ભાજપના શાનદાર પ્રદર્શન બાદ પીએમ મોદીએ ગુજરાતની જનતાનો આભાર માન્યો છે. પીએમ મોદીએ ટ્વિટ કર્યું કે ગુજરાત અને ભારતીય જનતા પાર્ટી વચ્ચેનો સંબંધ હવે વધુ ગાઢ અને અખંડ બન્યો છે.
રાજ્યભરમાં યોજાયેલી મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં ભાજપને મળેલા પ્રચંડ જનસમર્થન અને જનાદેશ બદલ ગુજરાતની જનતાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.
રાજ્ય સરકારના પ્રજાલક્ષી અને વિકાસમૂલક કાર્યોને માન્યતા આપતા ગુજરાતના લોકોએ સુશાસનની રાજનીતિ પર ફરી એક વાર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ પરિણામો સ્પષ્ટ દર્શાવે છે કે વર્ષોથી ભાજપ દ્વારા કરાયેલા અવિરત પરિશ્રમને જનતાએ હાર્દિક આશીર્વાદ આપ્યા છે.
હું ગુજરાતની જનતાને ખાતરી આપું છું કે આવનારા સમયમાં અમે વધુ પ્રતિબદ્ધતા અને સમર્પણ સાથે કાર્ય કરી, રાજ્યને વિકાસના નવા શિખરો સુધી પહોંચાડવા માટે સતત પ્રયત્નશીલ રહીશું.