મુંબઈ: મુંબઈમાં ગેટવે ઓફ ઇન્ડિયા સામે ગઈકાલે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. નેવીની એક સ્પીડ બોટ પેસેન્જર બોટ સાથે અથડાઈ ગઈ હતી જેના કારણે પેસેન્જર બોટ ઊથલી ગઈ હતી. આ દુર્ઘટના માં 13 લોકોના મોત થયા હતા. હવે આ મામલે પોલીસે નેવી ડ્રાઇવર વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.
દુર્ઘટનામાં 13 લોકોના મોત
બુધવારે મુંબઈના ગેટવે ઓફ ઇન્ડિયા પાસે નેવીની સ્પીડબોટ બેકાબુ થઈને પેસેન્જર બોટ સાથે અથડાઈ ગઈ હતી. ત્યારબાદ આ પેસેન્જર બોટ ઉથલી ગઈ હતી જેમાં 13 લોકોના મોત થઈ ગયા હતા. બીજી તરફ 100થી વધુ લોકોને રેસ્ક્યુ કરીને બચાવી લેવામાં આવ્યા હતા.આ પેસેન્જર બોટ ગેટવે ઓફ ઇન્ડિયાથી એલિફન્ટાથી જઈ રહી હતી.
કોલાબા પોલીસે નેવી ડ્રાઇવર વિરુદ્ધ કેસ દાખલ કર્યો
આ દુર્ઘટના માંડ-માંડ બચેલા મુંબઈના નાથારામ ચૌધરીની ફરિયાદ પર કોલાબા પોલીસે નેવી ડ્રાઇવર વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. બીજી તરફ ઈન્ડિયન નેવીના એક નિવેદન પ્રમાણે આ દુર્ઘટના ત્યારે સર્જાઇ હતી જ્યારે દરિયામાં એન્જિન ટ્રાયલ દરમિયાન સ્પીડ બોટમાં ખામી સર્જાઈ હતી. ત્યારબાદ સ્પીડ બોટ એ કાબુ ગુમાવી દીધો અને તે પેસેન્જર બોટ સાથે અથડાઈ ગઈ હતી. નેવીએ કહ્યું કે સ્પીડ બોટ એક રીજિડ ઈનફ્લેટેબલ બોટ હતી અને તેનું એન્જિન ટ્રાયલ ચાલી રહ્યું હતું. દુર્ઘટના બાદ મોટા પાયે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. 11 નેવીની બોટ, મરીન પોલીસની ત્રણ બોટ અને કોસ્ટ ગાર્ડની એક બોટ વિસ્તારમાં તહેનાત કરી દેવામાં આવી છે.
PM મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું
આ દુર્ઘટનામાં ઈન્ડિયન નેવીના એક અધિકારી સહિત 12 પ્રવાસીઓના મોત થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. પીએમ મોદીએ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો માટે બે લાખ રૂપિયા અને ઘાયલોને 50000 રૂપિયાના વળતરની જાહેરાત કરી છે.