પરિવારે કોર્ટનો આશરો લેતાં કોર્ટે પોલીસ ફરિયાદ કરવા માટે આદેશ આપ્યો હતો
સાબરકાંઠા જિલ્લામાં બાળ તસ્કરીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. હિંમતનગરમાં રહેતા એક પરિવાર પાસે વ્યાજના રૂપિયાની ઉઘરાણીમાં આરોપીઓએ સગીરાને ત્રણ લાખમાં વેંચી નાખી હોવાની ફરિયાદ નોંધાઇ છે.
હિંમતનગરના સાબરડેરી વિસ્તારમાં સમર્થ કોલેજ કેમ્પસની નજીક છાપરામાં વસવાટ કરતા એક પરિવારે મોડાસાના હજીરા વિસ્તારમાં રહેતા અર્જુન વિજયભાઈ નટ પાસેથી રૂપિયા 60,000 વ્યાજે લીધા હતા. ઉછીના પૈસા લીધા તે સમયે નક્કી થયેલી શરતો મુજબ પરિવારે વ્યાજ ચૂકવી દીધું હતું. જોકે, વ્યાજખોરો અર્જુન નટ અને સરીફાબેન નટએ તેમની રીતે હિસાબ કરી રૂ.3 થી 4 લાખ લેવાના નિકળતા હોવાનું જણાવી તેમના ઘરે આવ્યા હતા.
આરોપીઓ પરિવાર સાથે મારામારી કરી કોરા કાગળમાં અંગૂઠા કરાવ્યા પછી તેમની દીકરીને પૈસાના બદલામાં બળજબરીપૂર્વક ઉઠાવી ગયા હતા. આરોપીઓએ બાળકીનો રૂ. 3 લાખમાં સોદો કરી રાજસ્થાનના જયપુરની આસપાસ વેચી દીધી હતી. આ અંગે પરિવારે કોર્ટનો આશરો લેતાં કોર્ટે પોલીસ ફરિયાદ કરવા માટે આદેશ આપ્યો હતો. પોલીસે અર્જુન વિજયભાઈ નટ અને સરીફાબેન જોઈતાભાઈ નટ (બંને રહે.હજીરા પેટ્રોલપંપની પાછળ, ઝૂંપડપટ્ટી, મોડાસા, જિ.અરવલ્લી) અને લખપતિ નટ (રહે.દેવાગામ, તા.બાલાસિનોર, જિ.મહિસાગર)એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો છે.