અમદાવાદ: રાજ્યમાં બેફઆમ પૂરપાટ ઝડપે વાહન ચાલતા અવારનવાર ગોઝારા અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે અમદાવાદમાં ફરી એક વખત મોટો અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં દંપતિનું કરુણ મોત નીપજ્યું છે.
અમદાવાદના વસ્ત્રાલ રીંગ રોડ પર આવેલા પાંજરાપોળ નજીક ટ્રકે બાઈકને અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં પૂરપાટ ઝડપે આવી રહેલી ટ્રકે બાઇકને ટક્કર મારતાં બાઈક પર સવાર દંપતિને 100 ફૂટ જેટલા ઢસેડ્યા હતા. આ દંપતિનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે. અકસ્માતમાં જીવ ગુમાવનાર દંપતિ મંદિરે દર્શન કરીને પરત ફરી રહ્યું હતું. મૃતકોની ઓળખ કાંતિભાઇ પટેલ અને દક્ષાબેન પટેલ તરીકે થઈ છે. ટ્રક ડ્રાઇવરે જ્યારે અકસ્માત સર્જ્યો ત્યારે તે ફોન પર વાત કરી રહ્યો હોવાનું પણ હાજર લોકોએ જણાવ્યું હતું.
ત્યાં હાજર સ્થાનિક લોકોએ જણાવ્યું કે, અકસ્માત કર્યા બાદ ટ્રક ડ્રાઇવર ભાગી ગયો હતો, જોકે, પોલીસનું કહેવું છે કે તેને ઝડપી પાડવામાં આવ્યો છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર આ અઠવાડિયામાં ત્રીજીવાર અકસ્માત સર્જાયો છે. અહીં સ્પીડબ્રેકર અને બમ્પ ન હોવાથી વારંવાર અકસ્માતની ઘટના ઘટી રહી છે.