વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા સ્થિત ભગવાન દ્વારકાધીશના જગતમંદિરમાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ભક્તિનો પ્રવાહ અને આર્થિક આવક બંનેમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે. દેવસ્થાન સમિતિ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ નાણાકીય વર્ષ 2021-22 થી 2025-26 ના ગાળામાં મંદિરની કુલ આવક ₹101.31 કરોડ સુધી પહોંચી છે.
વર્ષવાર આપેલ આંકડા અનુસાર વર્ષ 2021-22 માં 13.76 કરોડ, વર્ષ 2022-23માં 19.79 કરોડ, વર્ષ 2023-24માં 23.78 કરોડ, વર્ષ 2024-25માં 21.92 કરોડ તથા વર્ષ 2025-26માં 22.04 કરોડ રૂપિયાથી વધુની આવક મળી કુલ પાંચ નાણાંકીય વર્ષ દરમ્યાન 101.30 કરોડ રૂપિયાથી વધુ આવક જગતમંદિરમાં નોંધાઈ છે.
દ્વારકાની આસપાસ શિવરાજપુર બીચ અને નવનિર્મિત ‘સુદર્શન સેતુ’ જેવા આકર્ષણો ઉમેરાતા પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો થયો છે.મહામારીના નિયંત્રણો બાદ ધાર્મિક સ્થળોએ યાત્રીકોની ભીડમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. દ્વારકા ક્ષેત્રમાં પ્રવાસનલક્ષી માળખાગત સુવિધાઓ અને કનેક્ટિવિટી સુધરતા યાત્રીકો માટે દ્વારકા દર્શન સુગમ બન્યા છે.
છેલ્લા પાંચ વર્ષોમાં અનેક જાણીતી હસ્તીઓ અને વીઆઈપી મહેમાનોની મુલાકાતોને કારણે પણ દ્વારકા વૈશ્વિક ફલક પર વધુ પ્રચલિત થયું છે.દ્વારકા માત્ર ધાર્મિક આસ્થાનું જ નહીં, પરંતુ ગુજરાતના પ્રવાસન ઉદ્યોગનું પણ મુખ્ય કેન્દ્ર બની રહ્યું છે.