અમદાવાદ: અવારનવાર આપણે ચોરીના કિસ્સા સાંભળતા હોઈએ છીએ, જેમાં ખાસ કરીને સામાન્ય લોકો ચોરીનો ભોગ બનતા હોય છે. પરંતુ ક્યારેક-ક્યારેક VIP લોકો પણ તેનો ભોગ બનતા હોઈ છે. ત્યારે હવે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલના બે આઈફોનની ચોરીનો મામલો સામે આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલના આઈફોનને શોધવા માટે રાજપુર પોલીસ સ્ટેશન સતત કામ કરી રહ્યું છે. ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ એક લગ્ન સમારોહમાં હાજરી આપવા માટે દહેરાદૂન ગયા હતા, ત્યારે રાજપુર રોડ પરના એક બેન્ક્વેટ હોલમાંથી તેમના બે મોબાઈલ ચોરાઈ ગયા હતા.
સુનિતા અગ્રવાલ લગ્ન સમારોહમાં હાજરી આપવા માટે દેહરાદૂન આવ્યા હતા
ગુજરાતના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ લગ્ન સમારોહમાં હાજરી આપવા માટે દેહરાદૂન આવ્યા હતા. પોલીસમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ 26 જાન્યુઆરીએ દેહરાદૂનના ફૂટહિલ ગાર્ડન મસૂરી રોડ પર એક લગ્ન સમારોહમાં હાજરી આપવા ગયા હતા. સાંજે 4:45 થી 5:15 વાગ્યાની વચ્ચે લગ્ન સમારોહમાંથી જ તેમના બે આઈફોન ચોરાઈ ગયા હતા. બંને ફોનની ચોરી થયાની જાણ દેહરાદૂન પોલીસને કરવામાં આવી છે. આ બે આઈફોનમાંથી એક તેમનો પર્સનલ છે જ્યારે બીજો રજિસ્ટ્રાર જનરલ ઓફિસ દ્વારા ખરીદવામાં આવ્યો છે. ફરિયાદ મળ્યા બાદ રાજપુર પોલીસ સ્ટેશન સતત મોબાઈલ ટ્રેસ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.
પોલીસે અજાણ્યા લોકો સામે કેસ દાખલ કર્યો
મોબાઈલ ચોરી અંગેની માહિતી મળતા અમદાવાદના રજિસ્ટ્રાર જનરલ મૂળચંદ ત્યાગીએ દેહરાદૂન પોલીસને આપી છે. ત્યાર બાદ દેહરાદૂન પોલીસે અજાણ્યા લોકો સામે કેસ દાખલ કરી લીધો છે, આસપાસના તમામ સીસીટીવી ફુટેજ પોલીસે જપ્ત કરવામાં આવ્યા છે અને લગ્નમાં આવનાર તમામ લોકો વિશે જાણકારી એકઠી કરાઈ રહી છે, આ સાથે જ સર્વિલન્સના માધ્યમથી પણ પોલીસ સતત મોબાઈલને શોધવાનો પ્રયાસ કરી રહી છે.
100 લોકોની યાદી તૈયાર કરવામાં આવી
રાજપુર પોલીસ સ્ટેશનના અધિકારી પીડી ભટ્ટે આ જણાવ્યું કે, આ મામલે તાત્કાલિક કેસ નોંધવામાં આવ્યો છે. 27 જાન્યુઆરીના રોજ અમને લેખિત ફરિયાદ મળી છે. અમે આ મામલે લોકોની સતત પૂછપરછ કરી રહ્યા છીએ. અત્યાર સુધીમાં ત્યાં કામ કરતા લગભગ 100 લોકોની યાદી તૈયાર કરવામાં આવી છે. અમને કેટલાક ઈનપુટ્સ મળ્યા છે, આશા છે કે ટૂંક સમયમાં મોબાઈલ અને મોબાઇલ ચોરીનો આરોપી પોલીસના સકંજામાં હશે.