ભરૂચ: ભરૂચમાં મોટી ગુર્ઘટના સર્જાઈ છે. ભરૂચ જિલ્લાના દહેજમાં સ્થિત GFL કંપનીમાં ગેસ લીકેજ થતા ચાર કામદારોના મોત થઈ ગયા છે. ગેસ લીકેજ થયા બાદ આગ લાગી ગઈ હતી અને આ આગની લપેટમાં આવી જવાથી ચાર કામદારોના મોત થઈ ગયા છે. GFL કંપનીના CMS પ્લાન્ટમાં આ દુર્ઘટના સર્જાઈ હતી. વાલ્વ લીકેજ થતા કામદારોને ગેસ લીકેજ બાદની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો.
કંપનીએ વળતર આપવાની જાહેરાત કરી
જો કે, આ ઘટનાને લઈને દહેજ એસડીએમએ યોગ્ય તપાસ અને વળતર માટેની સૂચનાઓ આપી છે. GFL કંપનીએ મૃતક કામદારના નજીકના પરિવારજનને 25 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે.
પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી
પ્રાપ્ત માહિતી પ્રમાણે વાલ્વ લીકેજ થતા ઘાતક ગેસ લીક થયું હતું. ત્યારબાદ કામદારોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમના મોત નિપજ્યા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. હાલ મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ ખાતે મોકલી આપવામાં આવ્યા છે. પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
ગૃહમંત્રી અમિત શાહે દુર્ઘટના અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી
GFL કંપનીના CMS પ્લાન્ટમાં સર્જાયેલ દુર્ઘટનાની ગંભીરતાને જોતા એસડીએમ અને દહેજ મરીન પોલીસના અધિકારીઓ સિવિલ હોસ્પિટલ પહોચી ગયા હતા. જ્યા તેમણે સમગ્ર બનાવ અંગે યોગ્ય તપાસ અને મૃતકના પરિવારજનોને યોગ્ય વળતર ચૂકવવા માટે નિર્દેશ આપ્યો હતો. બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ આ દુર્ઘટના અંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી ફેકટરીમાં ગેસ લીકેજની ઘટનાનો સમગ્ર ચિતાર મેળવ્યો હતો.