ઇજાગ્રસ્ત સૈફ અલી ખાનની લીલાવતી હોસ્પિટલમાં સર્જરી ચાલી રહી છે
ફિલ્મ અભિનેતા સૈફ અલી ખાન અને અભિનેત્રી કરીના કપૂરના બાંદ્રા વેસ્ટ સ્થિત ઘરમાં મોટી ચોરી થઈ હતી. ચોરીની ઘટના દરમિયાન તસ્કરોએ સૈફ અલી ખાન પર છરીથી હુમલો પણ કર્યો હતો. જેમાં સૈફ અલી ખાન ઈજાગ્રસ્ત થયો છે. હાલમાં તેમની લીલાવતી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
ગુરુવારે સવારે લગભગ 2:30 વાગ્યે બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાનના ઘરમાં ચોરીની ઘટના બની હતી. આ દરમિયાન નોકર ઊંઘમાંથી ઊઠી એલર્ટ થઈ ગયા અને ચોર ચોરની બૂમ પાડવા લાગ્યા. તે સમયે સૈફ અલી પણ ઊંઘમાંથી જાગી ગયો અને ચોરને પકડવા દોડ્યો હતો. આ દરમિયાન ચોરે સૈફ પર ચપ્પાં વડે હુમલો કરી દીધો જેમાં સૈફ ઈજાગ્રસ્ત થયો હતો.
સૈફ અલી ખાનની ટીમના જણાવ્યાનુસાર હાલમાં સૈફ અલી ખાનની લીલાવતી હોસ્પિટલમાં સર્જરી ચાલી રહી છે. તેને બે ત્રણ ઈજાઓ થઈ છે જેમાંથી ગળાના ભાગે લાંબો ચીરો પડી ગયાની માહિતી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે કાર્યવાહી કરતાં ઘરના અમુક કર્મચારીઓની અટકાયત કરી હતી અને તેમની પૂછપરછ શરૂ કરી હતી. મળતી માહિતી અનુસાર હજુ 3 લોકોની આ મામલે અટકાયત કરવામાં આવી છે. પોલીસ પૂછપરછ કરવા માટે આ લોકોને સાથે લઈ ગઈ છે.
ચોરી દરમિયાન સૈફ અલી ખાન પર પણ છરીથી હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે, સૈફ અલી ખાનને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, તેમને સામાન્ય ઈજાઓ થઈ હતી. હજુ સુધી એ સ્પષ્ટ નથી કે તેમને પહેલા છરી વાગી હતી કે ચોર સાથેની ઝપાઝપીમાં તે ઘાયલ થયો હતો. મુંબઈ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ બંને આ મામલાની તપાસ કરી રહ્યા છે.