ગુજરાતને દેશનું વિકાસ એન્જીન કહેવા છે. દેશના વિકાસમાં ગુજરાતનું યોગદાન મહત્વનું છે. ગુજરાતના ઉદ્યોગોના કારણે ગુજરાતના જીડીપીમાં તો વધારો થાય છે અને દેશના જીડીપીમાં પણ મહત્વનો ફાળો આપે છે. રાજ્યમાં ઔદ્યોગિક વિકાસને વધુ વેગ આપવા અને મોટા પાયે રોજગારીની તકો ઉભી કરવા માટે ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા ‘આત્મનિર્ભર ગુજરાત યોજના’ અમલમાં મૂકવામાં આવી છે.
આત્મનિર્ભર ગુજરાત યોજના ખાસ કરીને મોટા ઉદ્યોગો અને ‘થ્રસ્ટ સેક્ટર’ ને કેન્દ્રમાં રાખીને તૈયાર કરવામાં આવી છે, જેથી રાજ્યના જીડીપી (GDP) અને નિકાસમાં ધરખમ વધારો થઈ શકે. વડાપ્રધાનના ‘આત્મનિર્ભર ભારત’ના વિઝનને સાકાર કરવા માટે આ યોજના એક મજબૂત પાયા સમાન સાબિત થઈ રહી છે.
આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય નવા રોકાણોને પ્રોત્સાહિત કરવાનો અને હયાત એકમોના વિસ્તરણમાં મદદ કરવાનો છે. 5 ઓક્ટોબર, 2022 થી શરૂ થયેલી આ યોજના 4 ઓક્ટોબર, 2027 સુધી અમલી રહેશે.
આ પાંચ વર્ષના સમયગાળા દરમિયાન રાજ્યમાં જે પણ મોટા ઉદ્યોગો સ્થપાશે અથવા જે ઉદ્યોગો પોતાનું ડાયવર્સિફિકેશન (વૈવિધ્યકરણ) કરશે, તેમને સરકાર તરફથી આર્થિક પ્રોત્સાહન પૂરું પાડવામાં આવશે.
આ યોજના હેઠળ લોન પરના વ્યાજમાં મોટી રાહત આપીને ઉદ્યોગ સાહસિકો પરનો નાણાકીય બોજ ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
ઉદ્યોગો માટે આર્થિક બૂસ્ટર ડોઝ
આ યોજનાનો સૌથી મહત્વનો ઘટક ‘વ્યાજ સબસિડીની સહાય’ છે. મોટા પાયે ઉદ્યોગ શરૂ કરવા માટે બેંકો પાસેથી કરોડોની ટર્મ લોન લેવી પડતી હોય છે, જેના વ્યાજ દર ઘણીવાર ઉદ્યોગ સાહસિકો માટે પડકારરૂપ બને છે.
આત્મનિર્ભર ગુજરાત યોજના હેઠળ પાત્રતા ધરાવતા ઔદ્યોગિક એકમોને તેમની ટર્મ લોન પર ચૂકવેલા વ્યાજ સામે સરકાર વ્યાજ સબસિડીની ભરપાઈ કરશે. આનાથી ઉદ્યોગોના ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થશે અને તેઓ વૈશ્વિક બજારમાં વધુ સ્પર્ધાત્મક બની શકશે.