ગુજરાતમાં 14 જિલ્લા માથે માવઠાનો ખતરો, દાહોદ, અરવલ્લી સહિત પાંચ જિલ્લામાં કડાકા ભડાકા સાથે વરસાદ

ભર ઉનાળે રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. આ દરમિયાન આજે હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસનું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે. જે મુજબ, રાજ્યમાં 40-50 કિમીની ઝડપે પવન ફૂંકાશે. તેમજ ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. આજે વહેલી સવારથી દાહોદ, અરવલ્લી અને મહીસાગરમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો. તો આ તરફ અમદાવાદ, રાજકોટ અને ગાંધીનગરમાં ગરમીનો પારો 40ને પાર પહોંચી ગયો છે.

હવામાન વિભાગ મુજબ આગામી 7 દિવસ મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી વધુ રહેવાની શક્યતા છે. ગુજરાત પ્રદેશ, સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં 9 થી 11 મે દરમિયાન ગરમ અને ભેજવાળી હવાના કારણે અસ્વસ્થતા રહેવાની સંભાવના છે.

આજે અને આવતીકાલે અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહિસાગર અને છોટા ઉદેપુર જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.

રાજકોટ, અમરેલી, ભાવનગર અને બોટાદ જિલ્લાઓમાં પણ છૂટાછવાયા સ્થળોએ હળવો કે મધ્યમ વરસાદ પડી શકે છે. આ વિસ્તારોમાં વીજળીના કડાકા અને 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.

રાજ્યના બાકીના વિસ્તારમાં વાતાવરણ શુષ્ક રહેશે. બે દિવસ બાદ ગુજરાતના તમામ જિલ્લાઓ, સૌરાષ્ટ્ર-કચ્છ, દીવ, દમણ તેમજ દાદરા નગર હવેલીમાં હવામાન શુષ્ક રહેવાની પ્રબળ સંભાવના છે. આ સમયગાળા દરમિયાન વરસાદની કોઈ ખાસ ચેતવણી આપવામાં આવી નથી.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, તા. 9 થી 12 મે દરમિયાન ગુજરાત પ્રદેશ અને સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ ગરમ અને ભેજવાળી હવા રહેવાની સંભાવના છે. આ સ્થિતિને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોએ અસ્વસ્થતાનો સામનો કરવો પડી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!