વડોદરાની સયાજી હોસ્પિટલમાં 29 એપ્રિલે પોસ્ટમોર્ટમ રૂમમાં ડોક્ટર પર થયેલા હુમલાના વિરોધમાં રેસિડેન્ટ તબીબોએ આજે ગુરુવારે અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે. હડતાળને કારણે હોસ્પિટલની નિયમિત સારવાર સેવાઓ પર અસર પડી છે. મધ્યસ્થી કરવા કલેક્ટર અને જોઈન્ટ CP દોડી આવ્યા છે.
જ્યારે ઈમરજન્સી સેવાઓ અને ઓપીડી દર્દીઓ માટે ચાલુ રાખવામાં આવી છે. ગઈકાલની ઘટના બાદ પીએમ કામગીરી બંધ થતાં મૃતદેહોને ગોત્રી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ગત રોજ સાત મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ગોત્રી હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા.
રેસિડેન્ટ તબીબોની ગેરહાજરીને કારણે દર્દીઓની સારવાર વ્યવસ્થામાં મુશ્કેલીઓ પડી રહી છે. આ સમયે હોસ્પિટલના પ્રોફેસરો અને ટ્યુટર્સે સારવારની કામગીરી સંભાળી લીધી છે.
રેસિડેન્ટ તબીબોએ સુરક્ષાની માંગણી કરતાં હોસ્પિટલ કેમ્પસમાં સીસીટીવી કેમેરા અને કાયમી સિક્યુરિટી વ્યવસ્થા ગોઠવવાની માગ કરી છે. તેમણે હોસ્પિટલ પ્રાંગણમાં આવેલા અંધકારમય વિસ્તારોમાં વધુ લાઇટિંગ વ્યવસ્થા કરવાની પણ માંગણી કરી છે.
તબીબોએ ગઈકાલે બુધવારે બનેલી ઘટનામાં પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી છે. તેઓ ન્યાયની માગ સાથે સુરક્ષિત રીતે કામગીરી કરી શકે તે માટે આજે હડતાળ પર બેઠા છે. હાલમાં વડોદરા જિલ્લા કલેક્ટર, જોઈન્ટ પોલીસ કમિશનર અને એસ.એસ.જી. હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડો. રંજન આઈયર સાથે વાટાઘાટોની બેઠક શરૂ થઈ છે, જેમાં રેસિડેન્ટ તબીબો પણ સામેલ છે.