પ્રજાના રૂપિયાનો ધૂમાડો: AMCના હોદ્દેદારોના બંગલા અને ઓફિસના રીનોવેશન પાછળ લાખો રૂપિયાનો ખર્ચ

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રીનોવેશન પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. કોર્પોરેશનમાં પ્રજાના રૂપિયાનો બેફામ વેડફાટ કરવામાં આવી રહ્યો છે. AMCના હોદ્દેદારો પ્રજાનો વિકાસ તો છોડો પણ પ્રજાના જ પૈસા પોતાના વિકાસમાં લાગી ગયા છે. રાજાશાહી જીવન જીવવા માટે આ હોદ્દેદારો પ્રજાના પૈસાનો આડેધડ વેડફાટ કરી રહ્યા છે.

ગાંધીનગરથી નિયુક્ત થતા અધિકારીઓનો બેફામ ખર્ચ

કાર્નિવલો વગેરે ઉપરાંત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા ઉચ્ચ અધિકારીઓના ઓફિસ અને મકાનના રીપેરીંગ રિનોવેશન પાછળ વૈભવી ખર્ચ કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને ગાંધીનગરથી નિયુક્ત થતા અધિકારીઓ બેફામ ખર્ચ કરી રહ્યા છે. થોડા દિવસ પહેલા લો ગાર્ડન સ્થિત એક ડેપ્યુટી મ્યુનિસિપલ કોર્પોરેશનના ઘરમાં રીનોવેશન માટે રૂપિયા 32 લાખ ખર્ચ થયો હોવાની માહિતી સામે આવી હતી. બીજી તરફ મ્યુનિસિપલ કોર્પોરેશનના સી બ્લોકમાં આ અધિકારીઓની ઓફિસમાં પણ આંધળો ખર્ચ થઈ રહ્યો છે જેમાં એક જ ઓફિસમાં છેલ્લા ચાર વર્ષ દરમિયાન 12 લાખ કરતા પણ વધુ ખર્ચ થયો હોવાની પણ માહિતી સામે આવી હતી. AMCના ચીફ ઓડિટરની ઓફિસમાં છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન રૂપિયા 20 લાખ કરતા વધુ ખર્ચ કરવામાં આવ્યો હોવાની ચોકાવનારી વિગતો સામે આવી છે.

ચીફ ઓડિટરની ઓફિસ માટે જ ત્રણ વર્ષમાં 21.46 લાખનો ખર્ચ

મ્યુનિસિપલ કોર્પોરેશનના ખર્ચ પર લગામ લગાવવાની અને ખોટી રીતે ખર્ચ થયા હોય તો તેને જાહેર કરવાની જેની પાસે સત્તા છે તેવા ચીફ ઓડિટરની ઓફિસ માટે જ છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન રૂપિયા 21.46 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે.જ્યારે રક્ષક જ ભક્ષક બને તો પ્રજા ક્યાં જાય. સ્ટાફ ઓફિસ રીનોવેશન માટે રૂપિયા 17.65 લાખ ખર્ચ થયા છે. જેમાં તેમના બે ડેપ્યુટી ઓડિટર કે જેવો ભૂતકાળમાં અન્ય સ્ટાફની સાથે જ બેસીને કામગીરી કરતા હતા તેમના માટે અલગથી બે આલીસાન કેબિન બનાવવામાં આવી છે જેમાં પણ ત્રણ વર્ષમાં બે રિનોવેશન થયા છે આ ઉપરાંત ચીફ ઓડિટરની ઓફિસમાં પણ ઊંધઈ થઈ જવાના કારણોસર પાટિયા લગાવવામાં આવ્યા છે. ચીફ ઓડિટરે પણ તેમની બેઠકની દિશા અને એન્ટ્રી રૂમના ફેરફાર માટે પણ ખર્ચ કર્યા હોવાની વિગતો બહાર આવી છે. આમ આ હોદ્દેદારો વૈભવી જીવન જીવવા માટે પ્રજાના પૈસાનો આંધળો ખર્ચ કરી રહ્યા છે.

અધિકારીઓને આલીશાન બંગલો અને ઓફિસ વિના નથી ચાલતું

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ગાંધીનગરથી નિયુક્ત થઈને આવતા અધિકારીઓની મનોસ્થિતિ ‘રાજ ગયા રજવાડા ગયા પણ રાજાશાહી ન ગઈ’ જેવી જોવા મળે છે આ અધિકારીઓ કોઈ જિલ્લામાં કલેક્ટર તરીકે ફરજ બજાવીને અમદાવાદ કોર્પોરેશનમાં ડેપ્યુટી કમિશનર તરીકે નિયુક્ત થાય છે ત્યારે અહીં પણ તેમને આલીશાન બંગલો અને ઓફિસ વિના ચાલતું નથી. 2019 માં ડોક્ટર ઓમ પ્રકાશની નિયુક્તિ અમદાવાદમાં થઈ તે સમયે તેમણે બે ઓફિસ તોડીને એક ઓફિસ બનાવી હતી જેના માટે લગભગ 5 લાખનો ખર્ચ કર્યો હતો. તેમની બદલી થયા બાદ ડેપ્યુટી કમિશનર પ્રવીણ ચૌધરી તે ઓફિસમાં બેસતા હતા પરંતુ તેમણે તેમાં કોઈ મોટા ફેરફાર કર્યા ન હતા પરંતુ હવે જ્યારે કોર્પોરેશનમાં આયાતી અધિકારીઓની સંખ્યા વધી ગઈ છે ત્યારે ફરી એક વખત આ ઓફિસને દિલ્હી તોડતા બાદની જેમ ફરીથી અલગ કરવામાં આવી છે જેના માટે વધુ રૂપિયા 6,55,000નો મોટો ખર્ચ થયો છે. આમ બે ઓફિસની એક કરી અને ફરીથી તેને છૂટી કરવામાં પ્રજાના 12 કરોડ વેડફાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!