દાહોદમાં મનરેગા યોજનામાં 100 કરોડના ભ્રષ્ટાચારનો કોંગ્રેસનો આરોપ, અમિત ચાવડાએ વિજિલન્સ તપાસની કરી માગ

દાહોદ: કોંગ્રેસે ગુજરાતના દાહોદ જિલ્લામાં મનરેગા યોજનામાં 100 કરોડનો ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અમિત ચાવડાએ આ કેસની વિજિલન્સ તપાસની માગણી કરી છે.

ભાજપના શાસનમાં આજે ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બની ગયો

રાજ્યના દાહોદ જિલ્લામાં મનરેગા યોજનામાં થયેલા ભ્રષ્ટાચાર મુદ્દે મીડિયાને સંબોધિત કરતા કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ભાજપના શાસનમાં આજે ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બની ગયો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.  તેમણે કહ્યું કે, રાજ્યના મંત્રીના પોતાના વિસ્તારના દેવગઢ બારિયાના સ્થાનિક લોકો ભ્રષ્ટાચાર સામે રજૂઆત કરવા પહોંચ્યા છે.

દેવગઢ બારિયા તાલુકામાં 100 કરોડ કરતા વધારેનો ભ્રષ્ટાચાર

કોંગ્રેસ નેતાએ જણાવ્યું કે ‘બધાએ એફિડેવિટ કરી સોગંધનામા સાથે પોતાની રજુઆત કરી છે કે મનરેગા યોજનામાં દાહોદ જીલ્લાના દેવગઢ બારિયા તાલુકામાં 100 કરોડ કરતા વધારેનો ભ્રષ્ટાચાર થયો છે. આ મામલે તપાસ થવી જોઈએ અને જવાબદારો સામે કાર્યવાહી થવી જોઈએ એવી માંગણી લઈને અરજદારો આવ્યા છે.

એક જ ગામમાં 44 જેટલા રસ્તા મનરેગા યોજનામાં મંજૂર કરવામાં આવ્યા

આ મામલે એવો આરોપ લગાવવામાં આવ્યો છે કે, દાહોદ જીલ્લાના દેવગઢ બારિયાના કુવા ગામે એક જ ગામમાં 44 જેટલા રસ્તા મનરેગા યોજનામાં મંજૂર કરવામાં આવ્યા, જેની અંદાજીત લંબાઈ 17 કી.મી. છે. એવી જ રીતે બીજા રેઢાણા ગામમાં 33 રસ્તા મંજૂર કરવામાં આવ્યા, જેની અંદાજીત લંબાઈ 13 કી.મી. છે. આ બધાં જ કામોમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે.

સ્થાનિક મંત્રીના આશીર્વાદથી ભ્રષ્ટાચાર ચાલી રહ્યો

કોંગ્રેસ નેતાના આરોપ પ્રમાણે એફિડેવિટમાં રજુ કર્યા મુજબ લગભગ 47 લાખનાં કામો છે. જેમાં કામ મંજૂર કરવામાં તો આવે છે પરંતુ વાસ્તવમાં સ્થળ ઉપર એક પણ રૂપિયાનું કામ થતું નથી. બારોબર બિલ લખવામાં આવે છે, પૈસા ચૂકવી દેવામાં આવે છે અને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય છે. છેલ્લા ત્રણ વર્ષથી સતત સ્થાનિક લોકો દ્વારા રજૂઆત કરવા છતાં ભ્રષ્ટાચાર અટકતો નથી. ભ્રષ્ટાચારને રોકવા માટે સરકાર તરફથી કોઈ આકરા પગલા નથી લેવાયા કારણ કે ત્યાં સ્થાનિક મંત્રીના આશીર્વાદથી ભ્રષ્ટાચાર ચાલતો હોવાનો સ્થાનિકોનો સ્પષ્ટ આરોપ છે.

કયા કામોમાં થયો છે ભ્રષ્ટાચાર

આરોપ  પ્રમાણે ચેક ડેમના કામો, માટી મેટલ, રસ્તાના કામો, તળાવ ઊંડા કરવાના કામો, નહેરોની સુધારણાના કામો, હેન્ડપંપ અને બોરના કામો, આ બધા કામોમાં ત્રણ એજન્સીઓ મટીરિયલ સપ્લાય કરવાનો કોન્ટ્રાકટ લે છે. એમાં 1. રાજ ટ્રેડર્સ, 2. રાજ કન્સ્ટ્રકશન, 3. એન. જે. એન્ટરપ્રાઇઝ, આ ત્રણેય એજન્સીઓના વહીવટકર્તાઓ અને માલિક છે. જેની તપાસ કરીએ તો મંત્રીના અંગત, નજીકના, પરિવારના લોકો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!