મુન્દ્રા: કચ્છના મુન્દ્રામાં મોટી દુર્ઘટના ઘટી છે. મુન્દ્રામાં એક રહેણાંક મકાનમાં ACના કમ્પ્રેશરમાં ભયંકર બ્લાસ્ટ થયો છે. આ બ્લાસ્ટ બાદ વિકરાળ આગ લાગી ગઈ હતી અને આ આગે ઘરને પોતાની લપેટમાં લઈ લીધું હતું. આ વિકરાળ આગમાં પિતા-પુત્રી ઊંઘમાં જ બળીને ભડથુ થઈ ગયા હતા જ્યારે માતાને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. તેમની હાલત ખૂબ જ નાજુક હોવાનું માહિતી મળી રહી છે.
પિતા-પુત્રીનું કરુણ મોત
પ્રાપ્ત માહિતી પ્રમાણે મુન્દ્રાના બારોઈ રોડ પર આવેલા સૂર્યનગરમાં એક રહેણાંક મકાનની અંદર ભયંકર આગ ભડકી ઉઠી હતી. રહેણાંક મકાન અંદર લાગેલા ACના કોમ્પ્રેશરમાં કોઈક કારણોસર બ્લાસ્ટ થતા આ આગ ભડકી ઊઠી હતી. આગ લાગવાથી ઘરની અંદર સુઈ રહેલા એક જ પરિવારના ત્રણ સભ્યો ગંભીર રીતે દાઝી ગયા હતા. જેમાં પિતા-પુત્રીનું કરુણ મોત નીપજ્યું છે અને માતાને સારવાર માટે મુન્દ્રાની અદાણી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
ફાયર ફાઈટરે આગ પર કાબુ મેળવ્યો
આ દુર્ઘટના અંગે મુન્દ્રા પોલીસે આપેલી માહિતી પ્રમાણે આ આગ આજે વહેલી સવારમાં 5:00 વાગ્યાની આસપાસ લાગી હતી. રહેણાંક વિસ્તારમાં આગ લાગતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને આ અંગે તંત્રને જાણ કરી હતી બનાવની જાણ થતા જ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તાત્કાલિક ખાનગી કંપનીના ફાયર ફાઈટરને બોલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.
ઈજાગ્રસ્ત માતાને સારવાર માટે ખસેડાયા
આગ પર કાબુ મેળવ્યા બાદ મકાનની અંદર તપાસ કરતાં પરિવારના ત્રણ સભ્યો દાઝેલી હાલતમાં મળી આવ્યા હતા. જેમાં રવિ કુમાર રામેશ્વર રાય અને તેમની બે વર્ષની પુત્રી જાનવી બળીને ભડથુ થઈ ગયા હતા. બંનેના મૃતદેહને સરકારી હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવ્યા છે જ્યારે માતા કવિતા 70% બળી જતા તેમને સારવાર માચે મુન્દ્રાની અદાણી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.