નરોડાની શેલ્બી હોસ્પિટલમાં ચાલતો આવેલો માણસ કફનમાં ઘરે ગયો, ડોક્ટરોની બેદરકારથી દાદાનું મોત થયાનો પરિવારનો આરોપ

shalby hospital

અમદાવાદઃ અત્યારે ગુજરાતની આરોગ્ય તંત્ર એકદમ ખાડે ગયું હોય એવું કહેવું સહેજ પણ ખોટું નથી. એક પછી એક હોસ્પિટલોનાં કાંડ સામે આવી રહ્યા છે. હોસ્પિટલોની બેદકારીની કારણે દર્દીઓને જીવ ગુમાવવાના વારા આવે છે. આમ છતાં આરોગ્ય તંત્ર હજી પણ કુંભ કર્ણની નિંદ્રામાં પોઢી રહ્યું છે. વધુ એક કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. અહીં નરોડામાં આવેલી શેલ્બી હોસ્પિટલમાં ઓપરેશન કર્યા બાદ દર્દીનું મોત થવાનો કિસ્સો સામે આવ્યો છે. દર્દીના પરિવરજનોને નરોડાની શેબ્લી હોસ્પિટલનો કડવો અનુભવ થયો છે.

મૃતકના પરિવારજન કિરણભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે મૂળ ગીર ગઢડાના ચીખલીકૂવા ગામના રહેતા અમારા મોટા બાપા ઘોહાભાઈ ખાંભલે (ઉં.વ. 62)ને પગમાં નસ દબાતી હોવાથી અને પગ કાળા પડી ગયા હતા, તેથી તેમને PMJAY યોજના હેઠળ 8 નવેમ્બર 2024ના રોજ નરોડાની શેલ્બી હોસ્પિટલ સારવાર માટે લાવવામાં આવ્યા હતા, જ્યાં તેમને દાખલ કરી તમામ રિપોર્ટ કરવામાં આવ્યા હતા, જે નોર્મલ હતા.

પગની બંને નસ બ્લોક હોવાના કારણે ડોક્ટરોએ ઓપરેશન કરવા માટે કહ્યું હતું. એના માટે અમે સંમતિ આપી અને ઓપરેશન કરવામાં આવ્યું હતું. પગનું ઓપરેશન કર્યા બાદ તેમને બહાર લાવવામાં આવ્યા હતા, પરંતુ તેમની તબિયત લથડતાં ફરી ઓપરેશન થિયેટરમાં લઇ ગયા અને ઓપરેશન કરી બહાર લાવ્યા હતા.

જ્યારે ડોક્ટરને પૂછ્યું તો ખબર પડી કે નસમાં લીકેજ રહી ગયું હતું, જેના કારણે શરીરમાં લોહી વહેવા લાગ્યું હતું. ઓપરેશન કર્યાના 72 કલાક બાદ ફરીથી રિપોર્ટ કરતાં ખબર પડી હતી કે દર્દીને લિવર અને કિડનીમાં તકલીફ થવા લાગી છે. ત્યાર બાદ તેમણે કહ્યું હતું કે PMJAY યોજના હેઠળ તમારું ઓપરેશન થઇ ગયું, હવે ચાલશે નહીં.

લિવર અને કિડનીમાં તકલીફ થવા લાગી છે, તેથી મૃતકના પુત્ર અને તેમના સમાજના આગેવાને પણ કહ્યું હતું કે રિપોર્ટ બધા નોર્મલ હતા, પણ હવે તકલીફ થવા લાગી છે તો જવાબદારી તમારી છે. આવી રજૂઆત કરવાના કારણે ડોક્ટરે કહ્યું હતું કે અમે ટ્રીટમેન્ટ કરીશું. ભાનમાં તેઓ આવ્યા નહોતા, જોકે 22 નવેમ્બરના રોજ ખબર પડી કે તેમને મગજમાં લકવાની અસર થઈ ગઈ છે.

તેમણે વધુમા જણાવ્યું હતું કે ડોક્ટરોનું કહેવું છે કે પીએમજેએવાય કાર્ડની લિમિટ પુરી થતાં અન્ય જગ્યાએ સારવાર કરાવી લેવી પરંતુ અમારી આર્થિક સ્થિતિ સારી નથી. તો ક્યાં જઈએ. અમે પોલીસમાં અરજી કરી છે. અમારી માંગણી છે કે અમને ન્યાય મળવો જોઈએ. અહીં પ્રશ્ન એ છે કે હોસ્પિટલોની લાલિયાવાડી ક્યાં સુધી ચાલશે. સરકાર કે આરોગ્ય તંત્ર હોસ્પિટલોને ક્યા સુધી છાવરશે. આવી હોસ્પિટલો પર ક્યારે લગામ લાવશે.?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!