એક રાત જેલમાં વિતાવ્યા બાદ સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુનને આજે વહેલા સવારે જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો છે. અલ્લુ અર્જુનના પિતા અલ્લુ અરવિંદ તથા સસરા કંચરલા ચંદ્રશેખર પણ વહેલી સવારે હૈદરાબાદની ચંચલગુડા સેન્ટ્રલ જેલ પહોંચી ગયા હતા. તમને જણાવી દઈએ કે, 13મી ડિસેમ્બરે હૈદરાબાદ પોલીસે સંધ્યા થિયેટર નાસભાગ કેસમાં અલ્લુ અર્જુનની ધરપકડ કરી હતી. જોકે બાદ હાઇકોર્ટે એક્ટરને વચગાળાના જામીન આપી દીધા હતા. જોકે, એક્ટરને ગઈકાલે રાત્રે જ જામીન મળી ગયા હતા પરંતુ જામીનનો આદેશ ઓનલાઈન અપલોડ થઈ શક્યો ન હોવાના કારણે એક્ટરે એક રાત જેલમાં જ વિતાવવી પડી હતી.
જેલમાંથી છૂટ્યા બાદ એક્ટરનું પ્રથમ નિવેદન
હવે જેલમાંથી છૂટ્યા બાદ એક્ટરનું પ્રથમ નિવેદન સામે આવ્યું છે. મીડિયા સાથે વાત કરતા એક્ટરે તેના ચાહકોનો આભાર માન્યો જેમણે આ મુશ્કેલ સમયમાં તેને સાથે આપ્યો. આ ઉપરાંત તેમણે નાસભાગમાં થયેલા મહિલાના મોત પર દુખ વ્યક્ત કર્યું છે.
અલ્લુ અર્જુને આગળ કહ્યું કે, ‘ચિંતાની કોઈ વાત નથી. હું ઠીક છું. હું કાયદાનું પાલન કરતો નાગરિક છું અને સંપૂર્ણ સહયોગ આપીશ. હું ફરી એકવાર પરિવાર પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. તે એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના હતી, અમને અફસોસ છે કે એક પરિવાર ફિલ્મ જોવા જાય છે અને તેમાંથી કોઈ પોતાનો જીવ ગુમાવી દે છે. આ મારા નિયંત્રણમાં ન હતું. હું 20 વર્ષથી ફિલ્મો જોવા જાઉં છું. હું ત્યાં ઓછામાં ઓછી 30 વખત ફિલ્મ જોવા ગયો છું પરંતુ આવું ક્યારેય નથી બન્યું. તે એક દુર્ઘટના હતી અને હું તે પરિવારના સપોર્ટમાં અહીં જ છું. આપણે કોઈકના જીવને થયેલા નુકસાનની ભરપાઈ ક્યારેય નથી કરી શકતા, પરંતુ હું તેમને શક્ય તેટલી મદદ કરીશ.’
અલ્લુ અર્જુનની ગઈ કાલે સવારે ધરપકડ કરી હતી
અલ્લુ અર્જુનની ગઈ કાલે સવારે તેના ઘરેથી જ પોલીસે ધરપકડ કરી હતી. બાદમાં સાંજે 4:00 વાગ્યે લોકલ કોર્ટ સામે હાજર કરવામાં આવ્યો હતો, કોર્ટે અલ્લુ અર્જુનને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો હતો. જોકે એક્ટરે હાઇકોર્ટમાં અપીલ કરતાં સાંજે 5:00 વાગ્યે તેલંગાણા હાઇકોર્ટે તેના જામીન મંજૂર કરી દીધા હતા.