સુરતમાં ગર્ભપરીક્ષણ અને ભ્રૂણ હત્યાનું રેકેટ ઝડપાયું, ફાર્માસિસ્ટની ધરપકડ, હોસ્પિટલ સીલ કરાઈ

સુરતના વરાછા વિસ્તારમાં ગેરકાયદે ગર્ભપરીક્ષણ અને ભ્રૂણ હત્યાનું નેટવર્ક ફરી એકવાર ધમધમતું થયું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. વરાછા રોડ પર આવેલી મમતા મલ્ટિ-સ્પેશિયાલિટી હોસ્પિટલ પર આરોગ્ય વિભાગે દરોડા પાડીને આ આખા ગોરખધંધાનો પર્દાફાશ કર્યો છે.

આ સમગ્ર રેકેટનો મુખ્ય સૂત્રધાર રામગોપાલ ખંડેલવાલ છે, જે પોતે કોઈ ક્વોલિફાઇડ ડોક્ટર નથી પરંતુ માત્ર એક ફાર્માસિસ્ટ છે. નવાઈની વાત એ છે કે, રામગોપાલ વર્ષ 2025માં પણ વરાછાની શિવાય હોસ્પિટલમાં ગેરકાયદે ગર્ભપાત કરાવતા ઝડપાઈ ચૂક્યો હતો. જેલમાંથી જામીન પર છૂટ્યા બાદ તેણે જરાય સુધરવાને બદલે મમતા હોસ્પિટલના નામે નવી હાટડી ખોલી દીધી હતી.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. અનિલ પટેલની ટીમે જ્યારે હોસ્પિટલના પહેલા અને બીજા માળે ઓચિંતી રેડ પાડી ત્યારે ત્યાં અફરાતફરી મચી ગઈ હતી. તપાસ દરમિયાન સ્થળ પરથી ગેરકાયદે ગર્ભપાત કરાવવા આવેલી ત્રણ સગર્ભા મહિલાઓ મળી આવી હતી.

હોસ્પિટલમાં સફાઈ કામ કરતી મહિલાએ કબૂલાત કરી કે રામગોપાલ ખંડેલવાલ પોતે જ અહીં મહિલાઓના ઓપરેશનો કરતો હતો. દરોડા દરમિયાન અંધાધૂંધીનો લાભ લઈ વ્યારાની એક 24 વર્ષીય સગર્ભા મહિલા ત્યાંથી ભાગી છૂટી હતી, જ્યારે અન્ય બે મહિલાઓને સિવિલ હોસ્પિટલ ખસેડાઈ છે.

આરોગ્ય વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરતા મમતા હોસ્પિટલને સંપૂર્ણપણે સીલ મારી દીધું છે. વરાછા પોલીસે ફાર્માસિસ્ટ રામગોપાલ ખંડેલવાલ વિરુદ્ધ પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ (PC & PNDT Act) હેઠળ ગુનો નોંધી તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ રેકેટમાં મેડિકલ ક્ષેત્રના અન્ય કયા સફેદપોશ લોકો કે ડોક્ટરો સામેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!