આવતી કાલે 26 એપ્રિલના રોજ ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન થવા જઈ રહ્યું છે. ત્યારે મતદાનના આગલા દિવસે ગુજરાતના મુખ્યમંત્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં તારીખ 26 એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં 100 ટકા મતદાન કરવા સૌ નાગરિકોને અપીલ કરી છે. લોકશાહીના આ પવિત્ર મહાપર્વમાં રાજ્યના તમામ મતદારોને ઉત્સાહભેર મતદાન કરવા તેમણે અનુરોધ કર્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાગરિકોને આપેલા સંદેશમાં જણાવ્યું કે, “લોકશાહીમાં મતદાન માત્ર અધિકાર નથી, પરંતુ નાગરિક તરીકેનું પવિત્ર કર્તવ્ય પણ છે.” તેમણે કહ્યું કે, “દરેક મત રાજ્યના ગામ, તાલુકા, જિલ્લા અને શહેરોના સર્વાંગી વિકાસને વધુ વેગ આપશે.”
મુખ્યમંત્રીએ રાજ્યના તમામ મતદારોને 26 એપ્રિલે પોતાના મતદાન મથક સુધી અવશ્ય પહોંચીને મતદાન કરવા તેમજ પરિવારજનો, મિત્રો અને પડોશીઓને પણ મતદાન માટે પ્રેરિત કરવાની અપીલ કરી હતી.
તેમણે “100 ટકા મતદાન”નો સંકલ્પ લઈને લોકશાહીના આ મહાપર્વને સફળ બનાવવા સૌને આવાહન કર્યું છે. મુખ્યમંત્રીએ વિકસિત ભારતથી વિકસિત ગુજરાતના નિર્માણ માટે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની આ ચૂંટણીમાં તારીખ 26 એપ્રિલ, રવિવારે સૌને મતદાન અવશ્યપણે કરવા હાર્દિક અપીલ કરી છે.
393 સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ માટે થશે મતદાન
આવતીકાલે રવિવારે તા. 26 એપ્રિલના રોજ, સમગ્ર રાજ્યમાં કુલ 396 સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ માટે મતદાન યોજાવાનું છે. ગ્રામ્ય અને શહેરી વિકાસની દિશા નક્કી કરતી આ ચૂંટણીમાં રાજ્યના કરોડો મતદારો પોતાનો મહત્વનો મતાધિકાર ઉપયોગમાં લઈ શકશે.
રાજ્ય ચૂંટણી પંચના આંકડા મુજબ, આ ચૂંટણીમાં 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતોનો સમાવેશ થાય છે.
મુખ્યમંત્રી સહિતના નેતાઓ કાલે ક્યાં કરશે મતદાન જાણવા નીચે આપેલી પીડીએફ ચેક કરો