- ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં જ ગુજરાતમાં ત્રાટકી શકે છે માવઠું
- હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી છે
નવા વર્ષના આગમન ટાંણે સમગ્ર ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પાછોતરા વરસાદના કારણે ખેડૂતો હેરાન-પરેશાન થઈ ગયા હતા ત્યારે ફરી માવઠાની આગાહીના કારણે ખેડૂતોના જીવ તાળવે બંધાયા છે.
ગુજરાતના તાપમાનમાં થોડા દિવસથી તાપમાનમાં સામાન્ય ઘટાડો વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગૌસ્વામી દ્વારા હવામાનની આગાહી કરવામાં આવી હતી. જેમાં તેમણે માવઠાની આગાહી કરી છે.
આ આગાહીમાં તેઓએ જણાવ્યું હતું કે આગામી મહિનામાં ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયામાં રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠાની શક્યતા રહેલી છે. વેસ્ટન ડીસ્ટર્બન્સને કારણે ગુજરાત ઉપર એક અસ્થિરતા સર્જાશે, જેના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં 3 થી 5 ફેબ્રુઆરી દરમિયાન માવઠાની સંભાવના છે. ત્યારે આ આગાહીને લઇ ધરતીપુત્રો પરેશાનીમાં મુકાશે.
આગામી સાત દિવસમાં ગુજરાતનું હવામાન સૂકું રહેવાની સંભાવનાઓ છે. આગામી ચારથી પાંચ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી વધવાની આગાહી છે. આ સાથે હવામાન વિભાગ દ્વારા માવઠા કે વરસાદની કોઈ સંભાવનાઓ વ્યક્ત કરી નથી. હવામાન ડ્રાય રહેવાની આગાહી છે.
ઉલ્લેખનીય છે કે ગત વર્ષે મગફળી, કપાસ તેમજ સોયાબીન જેવા પાકોમાં અવિરત પડી રહેલ વરસાદના લીધે ખેડૂતોની માઠી દશા બેસી ગઈ છે. વ્યાપક વરસાદ પડતાં મગફળીના પોપટામાંથી દાણા ઉગી ગયા છે. કપાસના ફૂલ ખરી ગયા છે. સોયાબીનનો પાક બળી ગયો છે. જેથી ખેડૂતોને વ્યાપક નુકસાન સહન કરવાનો વખત આવ્યો છે. ત્યારે ફરી માવઠાની આગાહીથી ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાયા છે.