અમદાવાદ: ગુજરાતમાં નહીં માત્ર સિંઘમની છાપ ધરાવતા પરંતુ જે સિંઘમની સ્ટાઈલથી કામ કરવા માટે જાણીતા DIG નિર્લિપ્ત રાય હાલ તો સ્ટેટ મોનિટરિંગ સેલના વડા તરીકે ફરજ બજાવી રહ્યા છે, પરંતુ જ્યારે પણ ગુજરાતના કોઈ પણ ખુણે એવો બનાવ બને કે જ્યાં એક નિષ્પક્ષ અને બાહોશ અધિકારીની જરૂર છે એવા તમામ બનાવોની તપાસમાં મહત્વની જવાબદારી સોંપાઈ છે. સરકારને જ્યાં પણ દાખલારૂપ કાર્યવાહી કરવી હોય ત્યાં નિર્લિપ્ત રાયને જવાબદારી સોંપવામાં આવે છે અને પછી જ્યારે નિર્લિપ્ત રાયની એન્ટ્રી એ વિષયોમાં થતાં જ ગુનેગારોના પગ તળેથી જમીન સરકી જાય છે.
પોતાના કામથી નામ બનાવ્યું
IPS નિર્લિપ્ત રાય જેમને રાજકીય આકાઓની જી હજૂરી કરવાને બદલે પોતાના કામથી નામ બનાવ્યું છે. ખિસ્સામાં રાજીનામું લઈને ફરતા આ અધિકારીની શરૂઆતના 6 વર્ષમાં 8 બદલીઓ થઈ ગઈ હતી. ગુંડાઓ તો છોડો પોલીસ કર્મીઓમાં પણ એમના નામનો એટલો ફફડાટ છે. તેઓ અત્યાર સુધીમાં 150 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી ચૂક્યા છે. હાલમાં સ્ટેટ મોનીટરિંગ સેલમાં ફરજ બજાવતા નિર્લિપ્ત રાયે જ્યારે અમરેલી છોડ્યું ત્યારે ફૂલડે વધાવાયા હતા.
6 વર્ષની નોકરીમાં આઠ બદલી
કાનૂનને સર્વોપરી માનનાર અધિકારી નિર્લિપ્ત રાય 2010ની બેચના છે. તેઓ એક સમયે દિલ્હી યુનિવર્સિટીમાં પ્રોફેસર હતા પરતું આકરી મહેનત બાદ IPS માટે સિલેક્ટ થતાં પોલીસ સર્વિસમાં જોડાયા બાદ તેઓ પ્રોબેશનમાં હિંમતનગર મૂકાયા હતા. પ્રોબેશન પીરિયડ પૂર્ણ થતાં તેમનું પહેલું પોસ્ટિંગ જ અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં આસિસ્ટન્ટ પોલીસ કમિશ્નરનું હતું. જે પદ માટે લોકો ભલામણોનો દૌર ચલાવે છે એ પોસ્ટ પર એમનું પહેલું પોસ્ટિંગ હતું . ત્યારબાદ તેઓ નાયબ પોલીસ કમિશ્નર તરીકે અમદાવાદ ઝોન 7માં મુકાયા હતા. સામાન્ય રીતે બદલીનો આદેશ ખિસ્સામાં લઈને ફરતા નિર્લિપ્ત રાયની શરૂઆતની 6 વર્ષની નોકરીમાં આઠમી બદલી હતી.
ગુંડાઓ, બુટલેગરો અને પોલીસમાં પણ ફફડાટ
નિર્લિપ્ત રોયની કામગીરીને પગલે તેમની સામે નારાજગી પણ એટલી જ હતી પરંતુ લોકોનો પ્રેમ પણ તેમને એટલો જ મળ્યો છે. અમરેલીનો ચાર્જ લેતાં ગુંડાઓ અને બુટલેગરો તો ઠીક પણ અમરેલી પોલીસમાં પણ ફફડાટ વ્યાપી ગયો હતો. અમરેલી જિલ્લામાં પોણા 4 વર્ષ દરમ્યાન ફરજ પર બેદરકારી અને ગુનાહિત પ્રવૃતિ સાથે સંકળાયેલા પોલીસકર્મીઓ વિરુદ્ધ તેમણે તવાઇ બોલાવી હતી. કાયદો કોને કહેવાય અને કાયદા પ્રમાણે કેવી રીતે ફરજ બજાવાય તેવા અમરેલીમાં અનેક દાખલા છે.
આકરો સ્વભાવ અને નોન કરપ્ટેડની છાપ
નિર્લિપ્ત રાયની અમરેલીમાં બદલી થતાં જ તેમણે ગુંડાઓ આખી લિસ્ટ તૈયાર કરાવી હતી અને તેમને સમજાય છે તે જ ભાષામાં વાત કરવાનો અધિકારીઓને આદેશ આપ્યો હતો. નિમર્લિપ્ત રાયના આદેશ બાદ અમરેલી પોલીસ એક્શનમાં આવી અને ગુંડાઓને પકડી તેમની ભાષામાં સમજાવવા લાગી હતી, જે ગુંડાઓની રંજાડને કારણે અમરેલીના લોકો થરથર કાંપતા હતા તેમનું સરઘસ બજાર વચ્ચે કાઢી લોકોની માફી મગાવી હતી. આકરો સ્વભાવ અને નોન કરપ્ટેડની છાપ ધરાવતા નિર્લિપ્ત રાયની આ બદલીને કારણે સ્ટેટ મોનીટરીંગ સેલ હાલમાં ધમધમી રહ્યો છે. તમને વિશ્વાસ નહીં થાય પણ પોલીસ માટે હંમેશાં વિરોધપક્ષના નેતાઓ માછલાં ધોતા હોય છે પણ કોંગ્રેસના ફાયરબ્રાન્ડ નેતા જીગ્નેશ મેવાણીએ આઈપીએસ અધિકારી નિર્લિપ્ત રાય દ્વારા પેપર લીકની ઘટનાની તપાસની થાય તેવી સરકાર પાસે માગ કરી હતી. મેવાણીએ આ ઘટના બાદ સરકાર પર આકરા પ્રહારો કરી કહ્યું હતું કે જ્યાં સુધી પ્રામાણિક અધિકારીઓ નહીં આવે ત્યાં સુધી આવા પેપર લીકની તપાસ કરવામાં આવશે નહીં. આ એક અધિકારીની કામગીરીની પ્રસંશા હતી.
2010ની બેચના IAS અધિકારી
IPS અધિકારી નિર્લિપ્ત રાયની વાત કરીએ તો તેઓ 2010ની બેચના IAS અધિકારી છે. નિર્લિપ્ત રાય મૂળ ઉત્તર પ્રદેશના, ગુજરાત રાજ્યના મોનિટરિંગ સેલ (SMC)માં પોલીસ અધિક્ષક છે. નિર્લિપ્ત રાયે ગુજરાતના અનેક જિલ્લાઓમાં પોલીસ અધિક્ષકની જવાબદારી નિભાવી છે. જેમાં અમરેલી, સુરત અને અમદાવાદનો સમાવેશ થાય છે. રાય છેલ્લા કેટલાક સમયથી આઈબીમાં પણ ફરજ બજાવી ચૂક્યા છે. 28 ફેબ્રુઆરી, 1983ના રોજ જન્મેલા નિર્લિપ્ત રાયે વિજ્ઞાનમાં માસ્ટર ડિગ્રી મેળવી છે. તાજેતરમાં જ તેમને પ્રમોશન પણ મળ્યું હતું. એક સમયે ગુજરાત સરકારના નિવૃત્ત મુખ્ય સચિવ અને મુખ્ય ચૂંટણી કમિશ્નર વરેશ સિન્હાની દીકરી સુરિના સિન્હા સાથે તેમના લગ્ન થયા છે. સુરિના સિન્હાના બહેન અને નિર્લિપ્ત રાયના સાળી લવિના સિન્હા પણ IPS છે. જેઓ અમદાવાદમાં ફરજ બજાવી રહ્યાં છે.
નિર્લિપ્ત રાયની છબી એક સ્વચ્છ અધિકારીની
30 ઓગસ્ટ 2010ના રોજ સિવિલ સર્વિસ સાથે સંકળાયેલા નિર્લિપ્ત રાયની ક્ષમતાને જોતા તેમને સ્ટેટ મોનિટરિંગ સેલમાં એસપીની જવાબદારી સોંપવામાં આવી હતી. ગત વર્ષે જાન્યુઆરીમાં તેણે ડ્રોન દ્વારા ગેરકાયદેસર રીતે દારૂનું ઉત્પાદન કરતા 9 ગુનેગારોને પકડ્યા હતા. રાયની છબી એક સ્વચ્છ અધિકારીની છે. સિવિલ સર્વિસ ઉપરાંત રાયને વાઈલ્ડ ફોટોગ્રાફીનો પણ શોખ છે. નિર્લિપ્ત રાય તેમની 13 વર્ષની કારકિર્દીમાં 110 પોલીસ અધિકારીઓમાં સામેલ છે. જેમને ડીજીપી પ્રસંશા ચંદ્રકો મળ્યા છે. IPS બનતા પહેલા નિર્લિપ્ત રાય એક કોલેજમાં પ્રોફેસર હતા. પ્રમોશન બાદ નિર્લિપ્ત રાય SSPના રેન્ક પર પહોંચી ગયા હતા.