નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં 13મી જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી મહાકુંભ મેળાનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે આજે સુરતથી શ્રદ્ધાળુઓને લઈને મહાકુંભ મેળામાં જઈ રહેલી ટ્રેન પર પથ્થરમારો કરાયો હતો. સુરતથી પ્રયાગરાજ જતી તાપ્તી ગંગા એક્સપ્રેસ ટ્રેનના B-6 કોચ પર પથ્થર ફેંકાયો હતો. ટ્રેન સુરતથી ઉપડ્યા બાદ મહારાષ્ટ્રના જલગાવ પાસે પહોંચતા ટ્રેન પર પથ્થર ફેંકાયો હતો જેના કારણે કોચના બારીના કાચ પણ તૂટી ગયા હતા. આ ઘટનાના પગલે કોચમાં રહેલા બાળકો અને મહિલા સહિતના મુસાફરોમાં ભયનો માહોલ ફેલાયો હતો. હવે મુસાફરો દ્વારા વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવી રહ્યો છે.
ટ્રેનમાં 45% લોકો પ્રયાગરાજ કુંભ મેળામાં જઈ રહ્યા હતા
પ્રાપ્ત માહિતી પ્રમાણે આજે સુરતના ઉધના રેરવે સ્ટેશન ઉપરથી પ્રયાગરાજ મહાકુંભ મેળઆમાં જતી ટ્રેન તાપ્તી ગંગા ટ્રેન ઉપડી હતી. મહાકુંભ મેળા પહેલા શાહી સ્નાન માટે સુરતથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ ટ્રેન દ્વારા રવાના થયા હતા. સુરતના શ્રદ્ધાળુઓ B-6 કોચમાં સવાર હતા. આ કોચમાં પાંચ બાળકો છ વૃદ્ધો, 13 મહિલાઓ અને 12 જેટલા પુરુષો સવાર હતા. આ તમામ સુરતના શ્રદ્ધાળુ હતા અને તે ઉપરાંત ટ્રેનમાં 45% લોકો પ્રયાગરાજ કુંભ મેળામાં જઈ રહ્યા હતા.
વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
જ્યારે આ ટ્રેન મહારાષ્ટ્રના જલગાવ ખાતેથી પસાર થઈ રહી હતી ત્યારે ટ્રેન પર પથ્થર ફેંકાયો હતો જેના કારણે B-6 કોચમાં કાચની બારીઓ તૂટી ગઈ હતી. જોકે આ મામલે બે થી ત્રણ કલાક સુધી કોઈને જાણ પણ નહોતી કરી. ત્યારબાદ વિડીયો બનાવીને લોકોએ સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો.