નવી દિલ્હી: આજે વહેલી સવારે ભારત અને નેપાળ સહિત ત્રણ દેશોમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. નેપાળમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.1 રહી. ભારતમાં પણ દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, બંગાળ અને સિક્કિમમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તિબેટમાં પણ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. તિબેટમાં આ ભયાનક ભૂકંપે તબાહી મચાવી દીધી છે. આ ભયાનક ભૂકંપમાં 95થી વધુ લોકોના મોત થયા હતા. જ્યારે 130 લોકો ઘાયલ થયા છે. ચાઈના અર્થક્વેક નેટવર્ક સેન્ટર (CENC)ના જણાવ્યા પ્રમાણે મંગળવારે સવારે 9:05 વાગ્યે આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.8 માપવામાં આવી હતી. તિબેટમાં વહેલી સવારે 6:35 વાગ્યાથી છેલ્લા છ કલાકમાં ભૂકંપના કુલ 14 આચંકાઓના કારણે ભારે તારાજી સર્જાઈ છે. આ ભૂકંપમાં અનેક ઈમારતો ધરાશાયી થઈ છે.
ભૂકંપમાં 95થી વધુ લોકોના મોત થયા
પ્રાપ્ત અહેવાલ પ્રમાણે તિબેટના શિજાંગ શહેરની ડીંગરી કાઉન્ટીમાં 6.8ની તીવ્રતાના ભૂકંપમાં 95થી વધુ લોકોના મોત થયા છે. 130થી વધુ લોકો ઘાયલ થયા છે. ભૂકંપનું કેન્દ્ર 28.5 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 87.45 ડિગ્રી પૂર્વ રેખાંશમાં 10 કિલોમીટરની ઊંડાઈએ હતું.
આજે વહેલી સવારે ભારતના પણ ઘણા રાજ્યોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. બિહાર આનાથી સૌથી વધુ પ્રભાવિત થયું છે. આ ઉપરાંત આસામ, સિક્કિમ અને પશ્ચિમ બંગાળના ભાગોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ દરમિયાન ભયભીત લોકો ઘરની બહાર નીકળી ગયા હતા.
1990થી 2024 દરમિયાન ચીનમાં કુલ 186 વખત ભૂકંપ આવ્યો
વિશ્વભરમાં સૌથી વધુ ભૂકંપ અને ભયાનક ભૂકંપના આંચકા ચીનમાં આવ્યા છે. 1990થી 2024 દરમિયાન ચીનમાં કુલ 186 વખત ભૂકંપ આવ્યો છે. જેમાં અંદાજે 10 લાખ ડોલરનું નુકસાન થયું છે. ઉપરોક્ત સમયગાળામાં ઈન્ડોનેશિયામાં 166, ઈરાનમાં 109 અને જાપાનમાં 98 ભૂકંપના આંચકા નોંધાયા છે. અમેરિકામાં 78 અને તુર્કીમાં 62 જ્યારે ભારતમાં 58 ભૂકંપના આંચકા નોંધાયા છે.
કેમ આવે છે ભૂકંપ?
પૃથ્વીની અંદર 7 પ્લેટ્સ છે, જે સતત ફરતી રહે છે. આ પ્લેટો જ્યાં ટકરાય છે તે ઝોનને ફોલ્ટ લાRન કહેવામાં આવે છે. વારંવાર અથડામણને કારણે પ્લેટોના ખૂણા વળાંક આવે છે. જ્યારે ખૂબ દબાણ વધે છે, ત્યારે પ્લેટો તૂટવાનું શરૂ કરે છે. નીચેની ઉર્જા બહાર નીકળવાનો માર્ગ શોધે છે અને વિક્ષેપ પછી ભૂકંપ આવે છે.